Mar 21, 2016

DR. AMBEDKAR JANM JAYANTI NIMITE UPYOGI SAHITY ......... IN GUJARATI FOR STUDENTS

ડૉ. ભીમરાવ રામજી આંબેડકર

               ભીમરાવ રામજી આંબેડકર (૧૪ એપ્રિલ ૧૮૯૧ – ૬ ડિસેમ્બર ૧૯૫૬) એક કાયદાશાસ્ત્રી,રાજનેતા,તત્વચિંતક,નૃવંશશાસ્ત્રી,ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી હતા. તેઓ બાબાસાહેબ ના હુલામણા નામથી પણ જાણીતા છે. તેઓએ ભારતમાં બૌદ્ધ પુર્નજાગરણ આંદોલનની શરૂઆત કરી. તેઓ ભારતીય બંધારણના ઘડવૈયા અને પ્રથમ કાયદામંત્રી હતા.
                                   એક ગરીબ મહાર પરિવારમાં જન્મેલા આંબેડકરે ભારતની વર્ણવ્યવસ્થાના નામે ઓળખાતી સામાજિક ભેદભાવની પરંપરા વિરૂદ્ધ ઝુંબેશ ચલાવી. તેઓએ બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો અને લાખો દલિતોને થેરાવાદ બૌદ્ધ પરંપરામાં ધર્મ પરીવર્તન કરવા માટે પ્રેરીત કર્યા. આંબેડકરને મરણોપરાંત ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી 1990મા નવાજવામા આવ્યા હતા. તેઓ શરૂઆતના ગણ્યાગાંઠ્યા દલિત સ્નાતકોમાના એક હતા. તેમને તેમના કાયદાશાસ્ત્ર,અર્થશાસ્ત્ર અને રાજનીતિશાસ્ત્રના સંશોધન માટે કોલમ્બિયા યુનિવર્સિટિ અને લંડન સ્કુલ ઑફ ઇકોનોમિક્સ દ્વારા ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી હતી. આમ એક વિદ્વાન તરીકે નામના કાઢ્યા પછી તેઓએ થોડા સમય માટે વકીલાત કરી હતી. ત્યારબાદ તેઓએ ભારતના દલિતોના રાજનૈતિક હકો અને સામાજિક સ્વતંત્રતા માટે લડત આદરી હતી.ભારતના બૌદ્ધો દ્વારા તેમને બોધિસત્વ માનવામાં આવે છે,જો કે આવો કોઈ દાવો તેમણે કર્યો નથી

  • જન્મ અને બાળપણ

ભારતરત્ન ડૉ. ભીમરાવ રામજી આંબેડકરનો જન્મ ૧૪મી એપ્રિલ ૧૮૯૧માં મહુ, મધ્ય પ્રદેશ (તે સમયના સેન્ટ્રલ પ્રોવિન્સ) મુકામે એક સામાન્ય અછૂત ગણાતા મહાર કુટુંબમાં થયો હતો. તેમના પિતાનું નામ રામજી માલોજી સક્પાલ અને માતાનું નામ ભીમાબાઈ હતું. ભીમરાવ આંબેડકર એ રામજી સક્પાલના ચૌદ સંતાનોમાંનું છેલ્લું સંતાન હતા. ભીમરાવના પિતા મિલિટરીમાં સુબેદારના હોદા પર હતા. લશ્કરની શાળામાં તેઓ હેડ માસ્ટર હતા. નાનપણથી જ બાળક ભીમરાવમાં માતાપિતાના સંસ્કારો ઉતર્યા. જયારે ભીમરાવ ૬ વર્ષની ઉમરના થયા ત્યારે તેમની માતા ભીમાબાઈનું અવસાન થયું.
  • શિક્ષણ

                    ભીમરાવની પ્રાથમિક કેળવણીની શરૂઆત થઈ. ભીમરાવના પિતાની અટક સક્પાલ હતી. તેઓ મૂળ મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લાના અંબાવાડે ગામના વતની હતા તેથી નિશાળમાં ભીમરાવની અટક આંબાવડેકર રાખવામાં આવેલી. પરંતુ નિશાળના એક શિક્ષક કે જે ભીમરાવને ખુબ ચાહતા હતા, તેમની અટક આંબેડકર હતી તેથી તેમણે ભીમરાવની અટક નિશાળના રજીસ્ટરમાં સુધારીને આંબાવડેકરને બદલે આંબેડકર રાખી. શરૂઆતની પ્રાથમિક કેળવણી ભીમરાવે મુશ્કેલીઓ વચ્ચે પૂરી કરી. અસ્પૃશ્યતાના લીધે તેઓએ ઘણું જ સહન કરવું પડ્યું. ભીમરાવના પિતાને મુંબઈમાં રહેવાનું થયું એટલે ભીમરાવે હાઇસ્કૂલનું શિક્ષણ મુંબઈની એલ્ફીન્સ્ટન હાઇસ્કૂલમાં લીધું અને સને ૧૯૦૭માં મેટ્રીકની પરીક્ષા પસાર કરી.મેટ્રિક પાસ થયા પછી ભીમરાવના લગ્ન "રામી" નામની બાળા સાથે થયા. જેનું નામ ભીમરાવે પાછળથી "રમાબાઈ" રાખ્યું. ભીમરાવના કોલેજ શિક્ષણ માટે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે સ્કોલરશીપની વ્યવથા કરી, અને ભીમરાવ મુંબઈની પ્રખ્યાત એલ્ફીન્સ્ટન કોલેજમાં દાખલ થયા. ભીમરાવે ઈ.સ. ૧૯૧૨માં અંગ્રેજી મુખ્ય વિષય સાથે મુંબઈ યુનિવર્સીટીની બી.એ.ની પરીક્ષા પસાર કરી.સ્નાતક થયા પછી ભીમરાવ વધુ અભ્યાસ કરી શકે એવા એમના કુટુંબના સંજોગો રહ્યા ન હતા. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે ભીમરાવની નિમણુક રાજ્યના લશ્કરમાં એક લશ્કરી અધિકારી તરીકે કરી. વડોદરામાં યુવાન ભીમરાવે આભડછેટનાં લીધે ખુબ જ હેરાન થવું પડ્યું .આ સમયે તા. ૨ ફેબ્રુઆરી ૧૯૧૩ના રોજ ભીમરાવના પિતા રામજી સક્પાલનું અવસાન થયું. ભીમરાવને નોકરીને તિલાંજલિ આપવી પડી. પિતાનું મૃત્યુના કારણે મહત્વાકાંક્ષી ભિમરાવને ખુબજ દુ:ખ થયુ.આ સમયે વડોદરાના મહારાજા શ્રી સયાજીરાવ ગાયકવાડ કેટલાક તેજસ્વી અછૂત વિદ્યાર્થીઓને પોતાના ખર્ચે, ઉચ્ચ અભ્યાસ માટે, અમેરિકા મોકલવા માંગતા હતા. ભીમરાવની એ માટે પસંદગી થઈ. આમ સને ૧૯૧૩ના જુલાઈનાં ત્રીજા અઠવાડિયામાં ભારતનો એક અછૂત વિદ્યાર્થી વિદ્યાના ગહન શિખરો શર કરવા ન્યુયોર્ક પહોચી ગયો. અમેરિકાની પ્રખ્યાત કોલમ્બિયા યુનિવર્સિટીમાં ભીમરાવે ખંતપૂર્વક અભ્યાસ શરુ કર્યો. અભ્યાસના પરિપાક રૂપે ભીમરાવે 'પ્રાચીન ભારતીય વ્યાપાર' વિષય ઉપર મહાનિબંધ લખી ૧૯૧૫માં કોલમ્બિયા યુનિવર્સીટીની એમ.એ.ની ઉચ્ચ પદવી પ્રાપ્ત કરી. ત્યાર બાદ સતત અભ્યાસ ચાલુ રાખી ૧૯૧૬ માં એમણે પી.એચ.ડી. માટે 'બ્રિટીશ ભારતમાં મુલ્કી અર્થવ્યવસ્થાનો વિકાસ' વિષય ઉપરનો મહાનિબંધ કોલમ્બિયા યુનિવર્સીટીને રજુ કરી દીધો, અને સર્વોચ્ચ એવી પી.એચ.ડી.ની ડીગ્રી મેળવવા ભાગ્યશાળી બન્યા. આમ આંબેડકર હવે ડૉ. આંબેડકર બની ગયા.
હજુ એમની જ્ઞાન માટેની ભુખ સંતોષાયેલી નહોતી. સને ૧૯૧૬ માં તેઓ અમેરિકાથી ઇંગ્લેન્ડ ગયા. અને લંડનમાં કાયદાનો અભ્યાસ શરુ કર્યો સાથે સાથે એમણે અર્થશાસ્ત્રનો અભ્યાસ પણ ચાલુ જ રાખ્યો. પરંતુ પ્રતિકુળ સંજોગોને અને આર્થિક તેમજ કૌટુંબિક મુશ્કેલીઓને કારણે વિદ્યાભ્યાસ છોડી તેમને ભારત પાછા ફરવું પડ્યું . ઇંગ્લેન્ડથી પાછા આવ્યા પછી તેઓ વડોદરા નોકરી માટે ગયા. મહારાજા ગાયકવાડે આંબેડકરની નિમણુક વડોદરા રાજ્યના મીલીટરી સેક્રેટરી તરીકે કરી. પરંતુ મુશ્કેલીઓ, આભડછેટ અને અપમાનોના લીધે તેઓ વડોદરામાં સ્થિર થઇ શક્યા નહિ,ફરીવાર વડોદરાને તેમણે છેલ્લી સલામ કરી વિદાઈ લીધી.
ડૉ.આંબેડકર હિંમત હારી જાય તેવા પોચા નહોતા. તેમના પ્રયત્નોને સફળતા મળી ૧૯૧૮માં, મુંબઈની સિડનહામ કોલેજમાં તેઓ પ્રોફેસર તરીકે જોડાયા. આર્થીક ભીંસ ઓછી થવાથી અને થોડા પૈસા બચાવીને તેમજ કેટલીક રકમની મિત્રો પાસેથી વ્યવસ્થા કરીને ફરીવાર ડૉ.આંબેડકર ઇંગ્લેન્ડ ગયા, અને કાયદાનો તથા અર્થશાસ્ત્રનો અભ્યાસ ચાલુ રાખ્યો. ડૉ.આંબેડકરની ઇંગ્લેન્ડની સફર પહેલા તેમના પત્ની રમાબાઈએ ૧૯૨૦માં એક બાળકને જન્મ આપ્યો. જેનું નામ યશવંત રાખવામાં આવ્યું, બીજા બે સંતાનો થયા પરંતુ તે જીવી શક્યા નહિ. ૧૯૨૩માં ડૉ.આંબેડકર બેરિસ્ટર થયા. આજ વખતે ડૉ.આંબેડકરને તેમના મહાનિબંધ "રૂપિયાનો પ્રશ્ન" એ વિષય ઉપર લંડન યુનિવર્સીટી એ "ડૉક્ટર ઓફ સાયન્સ"ની ઉચ્ચ ડીગ્રી એનાયત કરી. લંડનમાં અભ્યાસ પૂર્ણ થવાથી ડૉ.આંબેડકર જર્મની ગયા, અને ત્યાં પ્રખ્યાત બોન યુનિવર્સીટીમાં વિદ્યાભ્યાસ શરુ કર્યો.પરંતુ જર્મનીમાં તેઓ લાંબો સમય રહી શક્યા નહિ. તેમને ભારત પાછા ફરવું પડ્યું.
જુન ૧૯૨૮ માં ડૉ.આંબેડકર મુંબઈની ગવર્મેન્ટ લો કોલેજમાં પ્રોફેસર તરીકે જોડાયા તેઓ કાયદાના અભ્યાસમાં નિપુણ હતા.તેઓ વિદ્યાર્થીઓમાં ઘણાજ પ્રિય થયા .આ સમયે "સાયમન કમિશન" ને મદદરૂપ થવા બ્રિટીશ ભારતમાં જુદી જુદી પ્રાંતીય સમિતિઓની રચના કરવામાં આવી.તા.૩ ઓગસ્ટ ૧૯૨૮ માં સરકારે ડૉ.આંબેડકરને મુંબઈની કમિટીમાં નીમ્યા.મુંબઈની ધારાસભામાં અને બહાર જાહેર સભાઓમાં ડૉ.આંબેડકરનો અવાજ ગાજવા લાગ્યો.તા.૨૩ ઓક્ટોબર ૧૯૨૮ મા ડૉ.આંબેડકર "સાયમન કમિશન" સમક્ષ અછૂતોના પ્રાણ પ્રશ્નો અને તેના નિરાકરણ ઉપર રજૂઆત કરી આજ સમયે તેમણે એક એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી.મજુર ચળવળના પણ તેઓ પ્રણેતા બન્યા,અને એમના હક્કો તથા સગવડો બાબતમાં ઘણાજ પ્રયત્નો કર્યા. ડૉ.આંબેડકર નું નામ હવે દેશભરમાં જાણીતું થઇ ગયું હતું.
  • બંધારણના ઘડવૈયા

                                                    ૧૯૪૬ માં વચગાળાની સરકાર રચવાનો તેમજ બંધારણસભા બોલાવી ભારતનું બંધારણ ઘડવાનો નિર્ણય લેવાયો. ડૉ. આંબેડકર ભારતની બંધારણસભામાં ચૂટાયા તા. ૯ ડીસેમ્બર ૧૯૪૬માં પ્રથમવાર બંધારણસભા દિલ્હીમાં મળી ડૉ. આંબેડકર ભારતના બંધારણના માળખા તેમજ લઘુમતી કોમના હક્કો વિશે સચોટ વિચારો વ્યક્ત કર્યા તા.૨૯ એપ્રિલ ૧૯૪૭માં બંધારણ સભાએ અશ્પૃશ્યતાને કાયદા દ્વારા ભારતભરમાંથી નાબુદ થયેલી જાહેર કરી હિંદુ-મુસ્લિમ એકતા સાધી શકાઈ નહિ છેવટે ભારતના ભાગલા નિશ્ચિત બન્યા ભારત-પાકિસ્તાન અલગ રાજ્યો અસ્તિત્વમાં આવ્યા. તા. ૩ ઓગસ્ટ ૧૯૪૭ માં ભારતની વચગાળાની સરકાર રચાઈ. ભારતની વચગાળાની સરકારમાં ડૉ. આંબેડકર ભારતના પ્રથમ કાયદા પ્રધાન બન્યા. ૨૯ ઓગસ્ટે ડૉ. આંબેડકરની ભારતના બંધારણી ડ્રાફટીંગ કમિટીના પ્રમુખ તરીકે વરણી થઇ. એક અછૂત કહેવાતા વ્યક્તિની દેશનું બંધારણ ઘડવા માટે પસંદગી થાય એ ખરેખર એ સમય માં ખુબજ અગત્યની વાત હતી. અનેક મુશ્કેલીઓ અને નાદુરસ્ત તબિયત વચ્ચે પણ ડૉ.અમ્બેડકરે ફેબ્રુઆરી ૧૯૪૮ના છેલા અઠવાડીયામાં ભારતના બંધારણની કાચી નકલ તૈયાર કરી અને બંધારણ સભાના પ્રમુખ ડૉ. રાજેન્દ્રપ્રશાદ ને સુપ્રત કરી ડૉ.આંબેડકરે ૧૫ અપ્રિલ ૧૯૪૮ માં ડૉ.શારદા કબીર સાથે લગ્ન કર્યા. પત્ની ડોક્ટર હોવાથી તેમની બગડેલી તબિયતમાં ઘણો સુધારો આવ્યો અને તેમનું કાર્ય ફરીથી ચાલુ કર્યું .ભારતના બંધારણ ના કાચા મુસદાને દેશના લોકોની જન માટે અને તેઓના પ્રત્યાઘાતો જાણવા માટે ૬ માસ સુધી જાહેરમાં મુકવામાં આવ્યો તા ૪ નવેમ્બેર ૧૯૪૮ માં ડૉ.આંબેડકરે ભારતના બંધારણને બંધારણ સભાની બહાલી માટે રજુ કર્યું. મુખ્યત્વે ડૉ.આંબેડકર રચિત બંધારણમાં ૩૧૫ કલમો અને ૮ પરિશિષ્ટ હતા ૨૬ નવેમ્બર ૧૯૪૯માં ભારતની બંધારણ સભાએ દેશનું બંધારણ પસાર કર્યું .આ વખતે બંધારણના પ્રતિનિધિઓ તેમજ ડૉ. રાજેન્દ્ર પ્રશાદે ડૉ. આંબેડકરની સેવા અને કાર્યના મુક્ત કાંઠે વખાણ કર્યા. ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ થી ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને દેશ પ્રજાસતાક બન્યો.
૧૯૫૨ માં સ્વતંત્ર ભારતની પ્રથમ સામાન્ય ચુંટણીમાં ડૉ. આંબેડકર મુંબઈ માંથી પાર્લામેન્ટ બેઠક માટે ઉભા રહ્યા પરંતુ શ્રી કાજરોલકર સામે તેમની હાર થઈ. માર્ચ ૧૯૫૨ માં ડૉ.આંબેડકર મુંબઈની ધારાસભાની બેઠક ઉપર રાજ્ય સભાના સભ્ય તરીકે ચુંટાઈ આવ્યા અને રાજ્ય સભાના સભ્ય બન્યા. તા. ૧ જુન ૧૯૫૨ માં તેઓ ન્યુયોર્ક ગયા અને ૫ જુન ૧૯૫૨માં કોલમ્બિયા યુનિવર્સીટીએ એમને સર્વોચ એવી "ડોક્ટર એટ લો"ની પદવી આપી. ૧૨ જાન્યુઆરી ૧૯૫૩ માં ભારતની ઓસ્માનિયા યુનીવર્સીટીએ ડૉ. આંબેડકરને "ડોક્ટર ઓફ લીટરેચર" ની ઉચ્ચ પદવી આપી. તેઓની ખરાબ તબિયતને કારણે તેઓ બહુ લાંબુ જીવી શક્યા નહી. ૬ ડિસેમ્બર ૧૯૫૬ ની વહેલી સવારે તેઓનું દિલ્લીમાં અવસાન થયું.


 

No comments:

Post a Comment